સરદાર વલ્લભભાઈ પટેલ-- જીવનચરિત્ર - Indian heroes

Post Top Ad

Wednesday 1 November 2017

સરદાર વલ્લભભાઈ પટેલ-- જીવનચરિત્ર

સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ -
૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.

તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવા તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીની સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને
દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટેના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચયિતા હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.
જન્મ અને કૌટુંબીક જીવન
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીઆદ - ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી. [૧] તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની વાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ (કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા) તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બેન - દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરાવતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળનું ગ્રહણ ન કરતા. [૨] ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરીણીતા તેના પિતાના ઘરે રહેતી.
વલ્લભભાઈને નિશાળનું ભણતર પુરું કરવા
નડીઆદ , પેટલાદ તથા બોરસદ જવું પડ્યું હતું કે જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે સ્વનિર્ભરતાથી રહ્યાં. તેમણે પોતાનો પ્રખ્યાત સંયમી સ્વભાવ કેળવ્યો - એક લોકવાયકા પ્રમાણે તેમણે પોતાને થયેલાં એક ગુમડાંને જરાય સંકોચાયા વિના ફોડ્યું હતું કે જે કરતા હજામ પણ થથર્યો હતો. [૩] વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં ૨૨ વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા અને ત્યારે તેમના વડીલો તેમને મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા તથા એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે. પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી - તેમને વકીલાતનું ભણી, કામ કરીને પૈસા બચાવી, ઈંગ્લેન્ડમાં ભણી બૅરિસ્ટર બનવુ હતું. [૪] વલ્લભભાઈ વર્ષો તેમના કુટુંબથી વિખુટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી, પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં. ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી તથા ત્યાંના બાર (વકીલ મંડળ) માં નામ નોંધાવ્યું. તેમને પૈસા બચાવવા માટે જે ઘણાં વર્ષો લાગ્યા તેમાં તેમણે પોતાના માટે એક તીવ્ર તથા કુશળ વકીલ તરીકેની કારકીર્દી મેળવી. તેમના પત્ની ઝવેરબાએ બે સંતાનો - ૧૯૦૪માં મણીબેન તથા ૧૯૦૬માં ડાહ્યાભાઈને જન્મ આપ્યો. ગુજરાતમાં જ્યારે બ્યુબોનિક પ્લેગનો આતંક છવાયો હતો ત્યારે વલ્લભભાઈએ તેમના એક મિત્રની સુશ્રુષા પણ કરી હતી, પણ જ્યારે તેમને પોતાને તે રોગ થયો ત્યારે તેમણે તરતજ પોતાના કુટુંબને સુરક્ષિત સ્થાને મોકલી દઈ પોતે ઘર છોડીને નડીઆદ સ્થિત ખાલી ઘરમાં જઈને રહ્યા (બીજા વૃત્તાન્ત પ્રમાણે તેમણે આ સમય જીર્ણ થઈ ગયેલા મંદિરમાં વ્યતીત કર્યો હતો) કે જ્યાં તેઓ ધીરે રહીને સાજા થયા. [૫]
વલ્લભભાઈએ ગોધરા, બોરસદ તથા આણંદમાં વકીલાત કરતી વખતે પોતાની કરમસદ સ્થિત વાડીની નાણાંકીય જવાબદારી પણ ઉપાડી લીધી હતી. જ્યારે તેમણે ઈંગ્લેન્ડ જઈને ભણવા જેટલા પૈસા ભેગા કરી લીધા ત્યારે તેમણે ત્યાં જવા માટે પરવાનો તેમજ ટીકીટ બુક કરાવી કે જે તેમના વી. જે. પટેલ ના સંક્ષીપ્ત નામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં આવી. વિઠ્ઠલભાઈની પણ ઈંગ્લેન્ડ જઈ ભણવાની યોજના હતી અને તેથી તેમણે તેમના નાના ભાઈ વલ્લભભાઈ ને ઠપકો આપતા કહ્યું કે મોટો ભાઈ નાના ભાઈની પાછળ જાય તે સારું ના લાગે અને ત્યારે સમાજમાં કુટુંબની આબરુને ધ્યાનમાં રાખી વલ્લભભાઈએ તેમના મોટા ભાઈને તેમની જગ્યાએ જવા દીધા. [૬] તેમણે તેમના મોટા ભાઈનો ઈંગ્લેન્ડ ખાતેનો ખર્ચ ઉપાડ્યો અને તે ઉપરાંત પોતાના ધ્યેય માટે પણ બચત કરવા માંડી.
૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેંસર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા રુગ્ણાલયમાં ભરતી કરવામાં આવ્યા. તેમની તબીયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલીક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું રુગ્ણાલયમાંજ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા. બીજાઓના વૃત્તાન્ત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી, વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉત્કટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછીજ આપ્યા હતા. [૭] વલ્લભભાઈએ પુનઃલગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા. ૩૬ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ
લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે ૩૬ મહીનાનો અભ્યાસક્રમ ૩૦ મહીનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા. ભારત પાછા આવી તેઓ
અમદાવાદમાં સ્થાયી થયા તથા શહેરના એક નામાંકિત બૅરિસ્ટર બન્યા. તેઓ યુરોપિય શૈલીના કપડાં પહેરતાં તથા વિવેકી શિષ્ટતા જાળવતા અને તેઓ બ્રિજ રમતના માહેર ખેલાડી પણ થયા. તેમણે એવી મહત્વકાંક્ષા કેળવેલી તે જેમાં તેમને પોતાની વકીલાતથી ખુબ પૈસા ભેગા કરી તેમના બાળકોને આધુનિક શિક્ષણ આપવું હતું. તેમની પોતાના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ સાથે એક સમજુતી હતી કે જેના થકી તેમના મોટા ભાઈ મુંબઈ પ્રેસિડંસીમાં રાજકારણી તરીકે ઉતરે અને તે સમયે વલ્લભભાઈ ઘરની જવાબદારીઓ પુર્ણ કરે.

આઝાદીની લડત
મિત્રોના આગ્રહને માન આપી વલ્લભભાઈ ચુંટણીમાં ઉતરી ૧૯૧૭માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધીકારી તરીકે ચુંટાઈ આવ્યા. તેમના બ્રિટિશ અધીકારીઓ સાથે સુધરાઈ બાબત થતા મતભેદો છતાં તેઓને રાજકારણમાં બહુ રસ ન હતો. મોહનદાસ ગાંધીની બાબતમાં સાંભળીને તેમણે મવલંકરને મજાકમાં કહ્યું હતું કે “પુછશે કે ઘઉંમાંથી કાંકરાં વિણતા આવડે છે અને એનાથી દેશને આઝાદી મળશે”. [૯] પણ ગાંધીજીએ જ્યારે ચંપારણ્ય વિસ્તારના શોષિત ખેડુતો માટે બ્રિટિશ સામ્રાજ્યની અવમાન્યા કરી ત્યારે વલ્લભભાઈ તેમનાથી ખુબ પ્રભાવિત થયા હતા. ત્યારના ભારતીય રાજકારણના ચલણથી વિરુધ્ધ ગાંધીજી ભારતીય ઢબના કપડા પહેરતા તથા અંગ્રજી, કે જે ભારતીય બુદ્ધિજીવીઓની સાહજીક ભાષા હતી, તેના બદલે માતૃભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપતા. વલ્લભભાઈ ખાસ કરીને ગાંધીજીના નક્કર પગલાં ભરવાના વલણ તરફ આર્કષાયા હતા – જેમાં રાજકીય નેતા ઍની બૅસન્ટની ધરપકડને વખોડતો પ્રસ્તાવ મુકવા સિવાય ગાંધીજીએ તેમને મળવા સ્વયંસેવકોને શાંતિપ્રિય કુચ કરવા પણ કહ્યું હતું.
વલ્લભભાઈએ તેમના સપ્ટેમ્બર ૧૯૧૭ના બોરસદમાં આપેલાં ભાષણમાં દેશભરના ભારતીયોને ગાંધીજીની અંગ્રેજો પાસેથી સ્વરાજની માંગણી કરતી અરજીમાં સહભાગી થવા માટે આવાહન કર્યું હતું. એક મહીના પછી ગોધરામાં આયોજીત ગુજરાત રાજનૈતિક મહાસભામાં ગાંધીજીને મળ્યા બાદ તથા તેમના તરફથી પ્રોત્સાહન મળ્યા બાદ વલ્લભભાઈ ગુજરાત સભાના સચિવ બન્યા કે જે આગળ ચાલીને ઈંડિયન નેશનલ કોંગ્રસની ગુજરાતી શાખામાં પરીર્વતીત થઈ હતી. વલ્લભભાઈએ હવે 'વેઠ' – ભારતીયો દ્વારા યુરોપિયનોની ફરજીયાત બેગારી સામે સ્ફુર્તિથી લડ઼વાનું ચાલુ કરી દીધુ હતું તથા ખેડા જિલ્લામાં થયેલા પ્લેગના અતિક્રમણ અને દુષ્કાળથી રાહત આપતા પગલાઓ ભરવાનું ચાલુ કર્યું હતું. [૧૦] ખેડા જિલ્લાના ખેડુતોને કર માંથી રાહત આપવની વિનંતીને અંગ્રેજ સરકાર ઠુકરાવી ચુકી હતી અને તેથી ગાંધીજીએ તેની સામે લડત આપવાની સંમતી આપી. તેઓ પોતે ચંપારણ્યમાં વ્યસ્ત હોવાથી આ લડતનું નેતૃત્વ ન કરી શક્યા અને તેથી તેમણે જ્યારે એક ગુજરાતી સક્રિય કાર્યકરને આ કામ માટે પોતાની જાતને સમર્પિત કરવાની હાકલ કરી ત્યારે વલ્લભભાઈએ સ્વેચ્છાથી પોતાનું નામ આગળ ધર્યું જે વાતની ગાંધીજીને ખુશી હતી. [૧૧] તેમણે આ નિર્ણય ત્વરિત કર્યો હોવા છતાં પાછળથી વલ્લભભાઈએ કહ્યું હતું કે એ ઈચ્છા તથા પ્રતિબધ્ધતાને અનુસરવાના તેમના નિર્ણય પર પહોંચતા પહેલા તેમણ ખુબ આત્મચિંતન કર્યું હતું, કારણકે તેના માટે તેમણે પોતાની વકીલાતની કારકિર્દી તથા ભૌતિક મહત્વકાંક્ષાઓનો ત્યાગ કરવાનો હતો.

ગુજરાતનો સત્યાગ્રહ
નરહરિ પરીખ, મોહનલાલ પંડ્યા તથા
અબ્બાસ તૈયબજી જેવા કોંગ્રેસી સ્વયંસેવકોના સહયોગ સાથે વલ્લભભાઈએ ખેડા જિલ્લાના ગામે ગામ ફરી ગામવાસીઓના દુ:ખ તથા તકલીફોની નોંધ કરી તેમને બ્રિટિશ સરકારને કર નહીં ભરીને રાજ્યવ્યાપી બળવામાં સહભાગી થવા કહ્યું. તેમણે સંભાવિક મુશ્કેલીઓ વચ્ચે પુર્ણ એકતા તથા ઉશ્કેરણી સામે અહિંસા આચરવાને મહત્વ આપ્યું હતું. તેમને મોટાભાગે પ્રત્યેક ગામમાંથી ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો. [૧૩] જ્યારે બળવાનું એલાન થયું અને કર નહીં ભરાયો ત્યારે અંગ્રેજ સરકારે મિલ્કત, તબેલાના પશુઓ તેમજ આખે આખાં ખેતરો જપ્ત કરવા પોલીસ તથા ઘમકી આપવાવાળી પઠાણોની ટુકડીઓ મોકલી. વલ્લભભાઈએ પ્રત્યેક ગામના રહેવાસીઓને તેમની મુલ્યવાન વસ્તુઓ છુપાવવા તથા પોલીસના છાપામાં સ્વરક્ષણમાં મદદ કરી શકે તેવા સ્વયંસેવકોની એક ટોળકી બનાવી હતી. હજારો કાર્યકર્તા તથા ખેડુતોની ધરપકડ કરવામાં આવી, પણ પટેલને બંદી બનાવવામાં ન આવ્યા. બળવાને ભારતભરમાં સહાનુભુતિ તેમજ પ્રસંશા મળવા માંડી અને તે ગુટમાં બ્રિટિશ સરકારની તરફેણ કરવાવાળા રાજનિતિજ્ઞોનો પણ સમાવેશ થયો. બ્રિટિશ સરકાર વલ્લભભાઈ સાથે સમજુતિ કરવા તૈયાર થઈ અને વરસ માટે કર નહીં ભરવા તથા તેનો દર ઓછો કરવા તેણે મંજુર થવું પડ્યું. આ ઘટના બાદ પટેલ ગુજરાતીઓ માટે નાયક તરીકે ઉભરી આવ્યા તથા ભારતભરમાં તેમના વખાણ થયા. [૧૪] ૧૯૨૦માં તેઓ નવ-રચિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ તરીકે ચુંટાયા કે જેનો કારભાર તેમણે ૧૯૪૫ સુધી સંભાળ્યો. ગાંધીજીની અસહકાર ચળવળના સમર્થનમાં વલ્લભભાઈએ રાજ્યભરમાં પ્રવાસ કરી ૩ લાખ સભ્યો ભરતી કર્યા તથા રુ.૧૫ લાખનું ભંડોળ ઉભું કર્યું. [૧૫] તેમણે અમદાવાદમાં અંગ્રેજી વસ્તુઓની હોળીઓ કરવામાં મદદ કરી તથા તેમાં પોતાના બધા અંગ્રેજી શૈલીના કપડાઓ નાંખી દીધા. તેમણે પુત્રી મણીબેન તથા પુત્ર ડાહ્યાભાઈ સાથે સંપુર્ણ ખાદી પહેરવાનું ચાલુ કર્યું. ચૌરી ચૌરાની ઘટના બાદ અસહકાર ચળવળને તત્પુર્તી બંધ કરવાના ગાંધીજીના નિર્ણયને પણ વલ્લભભાઈએ સમર્થન આપ્યું. ત્યાર બાદના વર્ષો દરમ્યાન તેમણે ગુજરાતમાં મદિરાપાનના અતિરેક, અસ્પૃશ્યતા તેમજ જાત-પાતના ભેદભાવના વિરોધમાં તથા નારી અધીકારની તરફેણમાં વિસ્તૃત કામ કર્યું. કોંગ્રેસમાં તેઓ સ્વરાજીય ટીકાકારોની વિરુધ્ધમાં ગાંધીજીના દૃઢ સમર્થક રહ્યા. વલ્લભભાઈ ૧૯૨૨, ૧૯૨૪ અને ૧૯૨૭માં અમદાવાદ સુધરાઈના અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા અને તેમના કાર્યકાળ દરમ્યાન અમદાવાદને મહત્વની વધારાની વિજળી પુર્તી આપવામાં આવી, ત્યાંની શાળા પદ્ધતિમાં ધરખમ સુધારાઓ થયા અને ત્યાંની જળ-કચરાના નિકાસ વ્યવસ્થામાં આખા શહેરને આવરી લેવાયું. રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્થાપવામાં આવેલી શાળાઓ (જે બ્રિટિશ સરકારના નિયંત્રણની બહાર હતી) માં ભણાવતા શિક્ષકોની માન્યતા અને પગાર માટે તેઓ લડ્યા હતાં તથા તેમણે હિંદુ-મુસ્લિમના સંવેદનશીલ મુદ્દાને પણ હાથ ધર્યો હતો. [૧૬] ૧૯૨૭માં થયેલી અનરાધાર વર્ષાને કારણે આવેલા પુરમાં અમદાવાદ શહેર તથા ખેડા જિલ્લામાં થયેલી જાન-માલની તારાજીને પહોંચીવળવા તેમણે સહાયતા અભિયાનનું સંચાલન કર્યું. તેમણે જિલ્લામાં નિરાશ્રીતો માટે કેંદ્રો ખોલ્યા - ખોરાક, દવા તેમજ કપડાંની ઉપલબ્ધી કરાવી આપી તથા સ્વયંસેવકો ઉભા કરી સરકાર તથા જનસમુદાય પાસેથી તાત્કાલિક નાણાં ભેગા કરી આપ્યા. [૧૭]
૧૯૨૩માં જ્યારે ગાંધીજી જેલમાં હતા ત્યારે કોંગ્રેસીઓએ સરદાર પટેલને ભારતીય ધ્વજને નહીં ફરકાવવાના કાયદા સામે નાગપુરમાં સત્યાગ્રહની આગેવાની કરવા કહ્યું. વલ્લભભાઈએ દેશભરમાંથી હજારો સ્વયંસેવકોને એકઠા કરી ધ્વજવંદન આયોજ્યું. તેમણે વાટાઘાટો દ્વારા બંદીઓની મુક્તિ કરાવી તથા રાષ્ટ્રવાદીઓ જાહેરમાં ધ્વજવંદન કરી શકે તેવી ગોઠવણ પણ કરાવી. તે વર્ષ દરમ્યાન પાછળથી વલ્લભભાઈ તથા તેમના કાર્યકરમિત્રોએ મળીને પુરાવા એકઠા કર્યાં કે જેના પ્રમાણે સરકાર ડાકુઓ સામે લડવા માટે વધારાનો કરવેરો નાંખવાની પેરવીમાં હતી તેજ સમય દરમ્યાન પોલીસ બોરસદ તાલુકાના સ્થાનિક ડાકુઓ સાથે મળેલી હતી. ૬૦૦૦થી પણ વધુ લોકો વલ્લભભાઈના ભાષણને સાંભળવા એકઠા થયા હતા અને બિન-જરૂરી તેમજ અનૈતિક ઠરાવેલાં આ વધારાના કરની સામે પ્રસ્તાવિત વિરોધ ચળવળને સમર્થન આપ્યું. વલ્લભભાઈએ હજારો કોંગ્રેસી કાર્યકરોને ભેગા કર્યા તથા આજુબાજુના તાલુકાઓ વચ્ચે સુચનાઓની આપ-લે ચાલુ કરાવી. તાલુકાના દરેક ગામે કર ભરવાનો પ્રતિકાર કર્યો અને સંયુક્ત રહીને જમીન અને મિલ્કતને સરકારના કબ્જા હેઠળ જતા અટકાવી. એક લાંબી લડત બાદ સરકાર વધારાનો કરવેરો પાછો ખેંચવા તૈયાર થઈ. ઇતિહાસકારોનું માનવું છે કે આ લડતમાં વલ્લભભાઈની મુખ્ય ભુમિકા જુદી જૂદી જાત-પાતના લોકોને કે જેઓ ભિન્ન સામાજીક અને આર્થિક પાર્શ્વભૂમિથી સંકળાયેલા, તેમને સાથે લાવી તેમની વચ્ચે સુમેળ તથા વિશ્વાસ બેસાડવાની રહી. [૧૮]
એપ્રિલ ૧૯૨૭માં અમદાવાદ સુધરાઈની તેમની જવાદારીઓમાંથી બહાર નીકળી વલ્લભભાઈ આઝાદીની ચળવળમાં પાછા જોડાયા જ્યારે બારડોલીમાં કપરો દુષ્કાળ પડ્યો હતો અને ભારે કર વધારો કરવામાં આવ્યો હતો. મોટાભાગનું ગુજરાત દુષ્કાળની ઝપેટમાં આવ્યુ હોવા છતાં આ કર વધારો ખેડા જીલ્લમાં કરેલા પહેલા વધારા કરતા પણ વધુ હતો. ગામવાસીઓના પ્રતિનિધિઓની સાથેની વાતચીત દરમ્યાન તેમને આગામી મુશ્કેલીઓની પુરતી ચેતવણી આપ્યા બાદ તથા અહિંસા અને એકતાની ઉપર પુરતો ભાર મુક્યા પછી તેમણે સત્યાગ્રહની ધોષણા કરી – કર અદાયગીનો પુર્ણ બહીષ્કાર. [૧૯] વલ્લભભાઈએ સંબંધિત વિસ્તારોમાં સ્વયંસેવકો, શિબિરો તથા માહિતીની આપ-લેની ગોઠવણ કરી. ખેડા જિલ્લામાં થયેલા કર બહિષ્કાર સત્યાગ્રહ કરતા પણ આ વખતે વધુ પ્રતિસાદ મળ્યો અને રાજ્યભરમાં સહાનુભુતિક ટેકો આપતા અન્ય સત્યાગ્રહો આયોજાયા. ધરપકડો તથા જમીન-મિલ્કતની જપ્તીઓ થઈ હોવા છતાં સત્યાગ્રહે જોર પકડ્યું. ઓગસ્ટ મહીના સુધીમાં સ્થિતિ તેની ચરમ સિમાએ પહોંચી ગઈ હતી અને ત્યારે મુંબઈ સરકારમાં ફરજ બજાવતા એક સહાનુભુતિક પારસીની મધ્યસ્થતાથી વલ્લભભાઈ સમજુતી માટે રાજી થયાં કે જેના થકી કર વધારો પાછો ખેંચાયો, સત્યાગ્રહની તરફેણમાં જે સરકારી અધિકરીઓએ રાજીનામા આપ્યા હતા તેમની ફરી નિમણુક થઈ તથા જપ્ત કરેલી જમીન-મિલ્કત પરત કરાઈ. આ બારડોલી સત્યાગ્રહ દરમ્યાન તથા તેમાં વિજય મેળવ્યા બાદ વલ્લભભાઈ વધુ ને વધુ લોકોથી ‘સરદાર’ના નામે સંબોધાવા લાગ્યા.
સરદાર પટેલે ભારતના ભાગલા સમયે કહ્યું હતું કે, "કાયરતા એ આપણી નબળાઇ છે, દુશ્મન સામે છપ્પનની છાતી રાખો." આપણે સહુ જાણીએ છીએ કે કાશ્મીર મુદ્દે સરદાર અને નહેરૂ વચ્ચે મતભેદો હતા. દેશના ભાગલા સમયે જ્યારે બ્રિટિશ સરકારે સત્તા છોડી ત્યારે
લોર્ડ માઉન્ટબેટને કાશ્મીરના મહારાજાને હિંદી સંઘ અથવા પાકિસ્તાનમાંથી એકમાં ભળી જવાની સલાહ આપી હતી રાજા હરિસિંહજીએ તેમની અવગણના કરી હતી. મહારાજાએ પાકિસ્તાન સાથે અમુક કરારો કર્યા પરંતુ વિધિવત જોડાણ ન કર્યું જેથી પાકિસ્તાન ગુસ્સે થયું અને કાશ્મીર સાથેનો તમામ વ્યવહાર અટકાવી દીધો. આ સમયે જીવન-જરૂરી પુરવઠો મેળવવા માટે કાશ્મિર ભારત તરફ વળ્યું અને પાકિસ્તાનને લાગ્યું કે કાશ્મિર તેમનાં હાથમાંથી છુટીને ભારત પાસે સરકી જશે, અને આ ભય હેઠળ પાકિસ્તાને કાશ્મીરની સરહદ ઉપર છમકલાં કરવાની શરૂઆત કરી. ૨૩ ઓકટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાને મોટાપાયે હુમલો કર્યો અને તેનુ સૈન્ય શ્રીનગરથી આશરે ૬૫ કિ.મી. દૂર સુધી પહોંચી ગયું. આ કટોકટીભરી સ્થિતિમાં મહારાજા હરિસિંહજીએ સરદારનો સંપર્ક સાધ્યો. સરદારતો આવા કોઇપણ આમંત્રણની રાહ જ જોઇ રહ્યા હતા. તેમણે તાબડતોબ મેનનને વિમાનમાં જમ્મુ મોકલ્યા અને મહારાજાએ હિંદી સંઘ સાથેના જોડાણખત ઉપર સહી કરી આપી અને લશ્કરી મદદની માંગણી કરી.સરદાર પટેલને આ સમાચાર મળતાં જ તેમણે લોર્ડ માઉન્ટ બેટન અને નહેરૂ સાથે મસલત કરી હવાઇ માર્ગે લશ્કર કાશ્મીર મોકલ્યું, પાકિસ્તાની સૈન્યએ ૨૬ ઓક્ટોબરને દિવસે શ્રીનગરમાં ઇદ ઉજવીને પોતાનો વિજય જાહેર કરવાનું ફરમાન કરી દીધું હતું, પરંતુ તે સાંજે જ ભારતીય લશ્કરનાં ધાડા ઉતરી પડ્યાં. ઘમાસાણ યુદ્ધ થતા પાકિસ્તાની સૈન્યએ પીછેહઠ કરવી પડી, પરંતુ કાશ્મીર પ્રશ્ને બંને દેશનાં ગવર્નર જનરલો તથા બે વડાપ્રધાનો વચ્ચે કોઈ સમજુતી થઇ શકી નહીં. બંને સરકારોએ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં સામેવાળા લશ્કરને પાછું ખેંચવાની માંગણી કરી, પરંતુ બંનેની હઠના કારણે ત્યાં પણ કોઇ નિર્ણય થઈ શક્યો નહી. લોર્ડ માઉન્ટબેટને બ્રિટિશ વડાપ્રધાનને 'અંગત મધ્યસ્થી' માટે પ્રયાસ કરવા વિનંતિ કરી પરંતુ તેમણે એમ કરવાની ના પાડી અને સંયુક્ત રાષ્ટ્રસંઘનાં શરણે જવા સુચવ્યું. અંતે લોર્ડ માઉન્ટબેટનની સલાહથી હિંદ સરકારે સંયુકત રાષ્ટ્રસંઘ પાસે કાશ્મીરનો પ્રશ્ન રજૂ કરવાનો નિર્ણય કર્યો. આ ઝઘડો બહારની સંસ્થા સમક્ષ લઇ જવાના નિર્ણયથી ગાંધીજી ખુશ નહોતા, તેમણે ચેતવણી આપી હતી કે, 'એથી કેવળ વાંદરાનો ન્યાય જ મળશે.'

No comments:

Post Top Ad

Your Ad Spot